હિન્દ ન્યુઝ, જામનગર
જામનગર જિલ્લાની મુલાકાતે આવેલા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જામનગર-રાજકોટ હાઇવે પર ગુલાબનગરથી આગળ માણેકનગર વિસ્તારમાં આવેલ નિષ્પક્ષપાતી ત્રિમંદિરમાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમજ વડીલોના આશીર્વાદ મેળવ્યા હતા. અજોડ ત્રિમંદિર (ત્રણ મંદિરો એક મંદિરમાં) ની સ્થાપના, એ પરમપૂજ્ય દાદાનું એક ક્રાંતિકારી પગલું હતું. જ્યાં બધા મુખ્ય ધર્મોના સાર એક મંચ પર મૂકવામાં આવ્યા છે. મંદિરની અંદર ભક્તોને જૈન,વૈષ્ણવ અને શૈવ ધર્મના દેવી દેવતાઓના દર્શન થાય છે. મંદિરમાં વિશાળ હારિયાળો બગીચો, પુસ્તકાલય તેમજ ભોજનશાળા આવેલી છે. અહીં ભક્તોને આધ્યાત્મિકતા અને શાંતિનો અનુભવ થાય છે. સફેદ પત્થરોની અદ્ભુત કોતરણીથી બનેલું ત્રિમંદિર સૌ કોઈનું ધ્યાન આકર્ષે છે.
મુખ્યમંત્રી સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, ચીફ સેક્રેટરી રાજકુમાર, ધારાસભ્યો દિવ્યેશભાઈ અકબરી, શ્રીમતી રિવાબા જાડેજા, અગ્રણીઓ વિમલભાઈ કગથરા, કલેકટર બી.કે.પંડયા, રેન્જ આઈજી અશોક કુમાર યાદવ, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું વગેરે ઉપસ્થિત રહ્યા હતા.